ઉજાસ

Tuesday, June 20, 2006

કોમી એકતા દેશ માટે જરૂરી

હિન્‍દુસ્‍તાનમાં પરાપૂર્વથી સર્વધર્મ સમભાવ રહ્યો છે. અંગ્રેજો આ દેશમાં આવ્યા તે પહેલાં દેશમાં સર્વધર્મના લોકો પ્રેમભાવથી મળીને રહેતા હતા. મુસ્લિમોમાં હિંદુ ધર્મ પ્રત્યે તથા હિંદુઓમાં ઇસ્લામ પ્રત્યે આદર હતો. સૂફી સંતોના ડાયરા તથા નાનક, કબીર, રહીમ જેવા આદી કવિઓના કાવ્‍યો એના સબૂત છે. આજે જ ઘણી જગ્‍યાએ મંદિર-મસ્‍જીદ પાસે પાસે દેખાય છે. તે તે સમયની કોમી એકતાની નિશાની છે પણ અંગ્રેજોએ પોતાની સત્તાના મૂળિયા હિંદમાં મજબૂત કરવા હિંદુ-મુસ્લિમોમાં ફૂટ નાંખી તેણે ઇસ્‍લામની બદબોઇ કરવા માંડી અને ઇસાઇ ધર્મની ઉંચતા બતાવવા ખૂબ પ્રચાર કર્યો અને મીશનરી દ્વારા ખૂબ પૈસા ખર્ચ કર્યા. જેની અસર આજે પણ બંને કોમોમાં કટૂતારૂપે દેખાઇ રહી છે.
આજે જે કોમી એકતામાં ખલેલ પાડી રહ્યા છે તે આમ જનતા નથી પણ કહેવાતા આગેવાનો જ છે તેઓ ચાહે તો કોમી એકતા સ્‍થાપી શકાય એમ છે એ માટે મહાત્‍મા ગાંધીએ પોતાના પુસ્‍તક મારા સ્‍વપ્‍નનું ભારતના પેજઃ ર૪૧-ર૪ર પર લખ્‍યું છે.
મારી તો ખાતરી છે કે જયાં આગેવાનોમાં લડવાની ચળ નથી ત્‍યાં આમ પ્રજાને લડવાની કે માથા ભાંગવાની મુદલવૃત્તિ નથી. તેથી જો આગેવાનો કબૂલ થાય કે બધા આપસના કજિયાઓને જ જંગલી અને અધાર્મિક ગણીને બીજા બધા સભ્‍ય દેશોની માફક આ દેશમાંથી પણ કાયમને માટે તિલાંજલી આપવામાં આવે તો આમ પ્રજા તાબડતોબ એ ભાવનાને ઝીલી લેશે એ વિષે મને છાટાભર શંકા નથી. જ્યારે હિંદમાં અંગ્રેજ રાજ્ય ન હતું જ્યારે એક પણ અંગ્રેજના પગલાં અત્રે નહોતા થયા ત્યારે શું હિંદુ, મુસલમાન અને શીખ હંમેશા માહેમાહે લડયા જ કરતા હતા ? ઈતિહાસકારોએ પુરાવો આપીને બતાવ્યું છે કે ત્યારે પણ અમે પ્રમાણમાં સુલેહ શાંતિથી રહેતા હતા. લડતા ન હતા. અંગ્રેજો ગયા પણ તેમણે ચાંપેલી કુસંપની આગ હજુ દેશમાં જલી રહી છે. રાજકારણીઓ સત્તાપ્રા‍પ્તિ ખાતર તે સદા પ્રજ્વલિત રાખવા પ્રયત્નશીલ છે. આ સત્યને આમ જનતા સમજે તે દેશના હિતમાં છે. આજે ધર્મના નામે થતા તોફાનો અને ફેલાતી ધૃણાથી આમ જનતાને જ તકલીફો પડે છે. લડાવી મારનારને કંઇ જ થતું નથી. તે તો મજા કરે છે. રેલીઓ કાઢી જલ્‍સા કરે છે. જેથી દેશની પ્રગતિ માટે કોમી એકતા જ દેશ અને જનતાના હિતમાં છે.

1 Comments:

  • At 10:54 PM, Blogger SUVAAS said…

    વાહ જી સલીમ અને સુરેશ...

    આપની‍ નિખાલતાઓ થકી જ ભારતવર્ષની રોનક બાકી છે.

    મારો બ્‍લોગ જોશો.
    www.suvaas.blogspot.com

    એક ચર્ચા ફોરમ પણ ઇસ્‍લામ સંબંધી જાણકારી ઉપલબ્‍ધ કરાવવા માટે શરૂ કર્યું છે.
    www.suvaas.my-forums.net

    પધારવા આમંત્રણ...

     

Post a Comment

<< Home