ઉજાસ

Thursday, June 29, 2006

ઈસ્‍લામી મદરસા

એક અખબારમાં શ્રી ભરત પંડયાના ચર્ચાપત્ર મદરસાઓ એટલે પછાતપણાની બેડીઓના અનુસંધાનમાં અમે લાંબા સમયથી જોઇ રહ્યા છીએ કે જેને ઇસ્‍લામ કે મદરસા બાબતનું કોઈ જ્ઞાન નથી તે ફેશન તરીકે તેની ટીકા કરવાની બહાદૂરી બતાવી રહ્યા છે. શ્રી પંડયા જેવા પણ જયારે એમાં ભળે છે તો રંજ થાય છે, ખરેખર તો આ બીજાના ધર્મમાં ખુલ્‍લી દખલ છે તે બંધ થવી જોઈએ. એ જાણી લેવાની જરૂર છે કે મદરસા બે પ્રકારના હોય છે, એક મુસ્લિમ વસ્‍તીવાળા મહોલ્‍લા યા ગામમાં ચાલતા નાના મદરસા જેમાં નાના બાળકોને મજહબનું પ્રથમિક જ્ઞાન અપાય છે. કુરઆન પઢતા શીખવવામાં આવે છે. બાકીના સમયમાં બાળકો ગામની ગુજરાતી શાળામાં શિક્ષણ લે છે. બીજા ધર્મના લોકો પણ આવી પાઠ્યશાળાઓ ચલાવે છે. બીજા મદરસા જયાં મજહબનું ઉચ્‍ચ શિક્ષણ અપાય છે. આ મદરસા આશ્રમ શાળાની જેમ ચલાવાય છે જેમાં કોલેજ લેવલનું શિક્ષણ અપાય છે. આવા દારૂલ ઉલૂમો જિલ્‍લામાં ર-૩-૪ હોય છે. આવા મદરસામાં ઉચ્‍ચ શિક્ષણના ઇચ્‍છુક જ જાય છે. આવા મદરસા સરકારી કાનૂન પ્રમાણે ચેરીટી કમિશનર યા વકફ યા વકફ બોર્ડમાં રજીસ્‍ટર કરાવેલા હોય છે, તેના ટ્રસ્‍ટીઓ હિસાબ રાખે છે તે ઓડિટ કરાવી ચેરીટીમાં મોકલાય છે બધુ કાનૂની થાય છે છતાં કોઈ મદરસામાં ગેરરીતિ હોય તો સબૂત સાથે કોર્ટમાં પડકારી શકાયલ, અને આજ સુધી કોઇ મદરસામાં ગેરરીતિ થતી જોવા મળી નથી. જે કંઇ મદરસાના વિરૂદ્ધ બકવાસ કરવામાં આવે છે તે વાહિયાત જ હોય છે. માટે મદરસાને ખોટી રીતે બદનામ કરવા યોગ્‍ય નથી જ.
મુસ્લિમોમાં માલદારો પર ધા‍ર્મિક રીતે પોતાના માલમાંથી દરવર્ષે ૪૦મો ભાગ ગરીબ, નાદાર, મરૂરતમંદને દાન પેટે આપવું જરૂરી બતાવવામાં આવે છે તેમાંથી ગરીબ બાળકો જે મદરસામાં તાલીમ લઇ રહ્યા છે. તેમના ઉપર પણ ખર્ચ કરવામાં આવે છે. ભારતના મુસ્લિમો નોકરી ધંધા માટે પરદેશ જાય છે. ત્‍યાંથી પોતાના ગામ રાજ્યના મુસ્લિમોના સેવાના કામ માટે પૈસા મોકલે છે તે કોઈની વ્‍યકિતગત સંપત્તિ હોતી નથી સમાજ કે ટ્રસ્‍ટની હોય છે. બીજા ધર્મિઓ પણ પરદેશથી આ રીતે મદદ મોકલે છે. આ દેશના નાગરિકોને રોજી રોટી માટે દેશમાં ગમે ત્‍યાં જવાનો અધિકાર છે. એ રીતે બિહાર યુ.પી.ના આલિમો રોજીની શોધમાં ગુજરાતમાં આવે છે. બીજા ધર્મના ધર્મગુરુઓ શું એ રીતે નથી આવતા ? ઉર્દૂ એ એક ભારતીય ભાષા છે તેનો બંધારણમાં પણ સ્‍વીકાર થયો જ છે. પુરા ભારતમાં તે બોલાતી હોય તેને મુસ્લિમોએ મજહબની લીંક ભાષા બનાવી છે, પ્રાદેશિક ભાષાનો પણ ઉપયોગ થાય જ છે. મદરસા અને ઉર્દુના ત્‍યાગની સલાહ માન્‍ય ન થઇ શકે. આવી સલાહ પાછળ મોટું કાવતરું લાગે છે.

6 Comments:

  • At 7:19 AM, Blogger SUVAAS said…

    સુરેશ જી, સલામ,
    પાકિસ્‍તાનના મદરેસાઓ વિશે આપે જે લખ્‍યું છે, એ નક્કી જ આપે સમાચાર પત્રોના આધારે જ લખ્‍યું હશે, મને ખબર નથી કે એ જુઠું જ હશે, પણ એ સાચું જ હોય એ પણ નક્કી નથી, અનેક વિદેશી પર્યટકો અને રાજદ્વારીઓના નિવેદનો એવા પણ આવી ચુકયા છે કે આ મદરેસાઓમાં કંઇ ખોટું નથી,
    વાત એમ છે કે રશિયા સાથેના શીત યુધ્‍ધ પછી અમેરિકાના શાશકો અને શસ્‍ત્રોના વેપારીઓને એક શત્રુની તલાશ હતી, આપ જાણતા જ હશો કે અમેરિકાના હાલના શાસકો મોટી કંપનીઓના માલિકો કે ભાગીદારો છે,
    અને મદરસાઓ તો બહાનું છે, અસલ નિશાન તો ઇસ્‍લામ જ છે, એ પણ સમજતા જ હશો, સંયુકત રાષ્‍ટ અને વૈશ્વિક સ્‍તરે અનેક બાબતોમાં જયાં ઇસ્‍લામ કે મુસલમાનોની ભલાઇ નો પ્રશ્ન હોય અમેરિકા આડું આવે છે, એ પણ આપ જોતા જ હશો, અમને અફસોસ છે કે ઘણું કરીને વિશ્વની મહા સત્‍તા બનવાના શોખમાં આપણા નેતાઓ પણ એ જ રસ્‍તે જઇ રહયા છે. શું આપ નથી જાણતા કે ભારતની લગભગ સાંઇઠ ટકાથી વધારે વસ્‍તી ગરીબ છે, અને તેને શસ્‍ત્રો નહી, ખોરાક જોઇએ છે. મોંઘવારી રોજ વધે છે, રોજ નવા નવા ટેકસ આવે છે, અને બધો પૈસો નેતાઓના ગયવામાં...
    પેલો રાહુલ મહાજન પાંચસોની નોટ વાળીને એમાં ચરસ પીતો હતો, આ પૈસા કયાંથી ???

    મોટા ત્રાસવાદી કોણ ?

    આપ જાણતા નથી કે પેલા ધર્માંધ તાલિબાનોએ અફથાનિસ્‍તાનમાં અફીણની ખેતી ઝીરો ટકાએ લાવી દીધી હતી, પણ એનાથી યુનો ના આ વિભાગના વિશ્વિભારમાં ફેલાયેલ નોકરિયાતોની નોકરી ખોટકાય જવાનો ભય ઉભો થયો, અને પછી આ વિશે અન્‍ય દેશો પાસેથી યુનોને મળતા ભંડોળ પણ બંધ થઇ જાત, અને આવું તો ઘણું બધું.....

    ખેર આપ શ્રી આપના વિચારો જણાવવા માંગતા હોય અને અમ દોસ્‍તોથી સ્‍પ્‍ષ્‍ટતાથી ચાહી ગલત ફહમી દૂર કરવા માંગતા હોવ તો મેં એક ફોરમ શરૂ કર્યું છે, ફોર એસ વી ના ફોરમ પર મેં આ વાત રજૂ કરી છે.

    www.suvaas.my-forums.net

     
  • At 7:08 AM, Blogger સલીમ વલી દેવલ્‍વી said…

    સરસ ખુબ સરસ અહીંયા મારા બ્‍લોગ ઉપર ચર્ચા વિચારણા જોઇ ખુશી થઇ દાસ્‍તો તરફથી કોમેન્‍ટ મળતી રહે તો મને કોઇ વાંધો નથી, પરંતુ ચર્ચા કરવા માટે અને પોતાના વિચારો રજૂ કરી બીજાના વિચારો જાણવા માટે ફરમ હોય છે. જેમકે સુવાસ ટીમ તરફથી બનાવવામાં આવેલ ફોરમ, તેમા આવવા દોસ્‍તોને અપીલ છે.

     
  • At 1:16 PM, Blogger Prof. Mehboob Desai said…

    કુરાને શરીફમાં અહિંસાનો મહિમા

    ડો. મહેબૂબ દેસાઈ

    ઇસ્લામનો ધર્મગ્રંથ કુરાને શરીફ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર વહી દ્વારા ઉતરેલ ખુદાના સંદેશાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માત્ર ધાર્મિક બાબતો નથી, પણ તે જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે. પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અને કથાઓ આ ગ્રંથમાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે તે જિહાદ અને કુરબાની જેવા વિષયો અંગે પણ સ્પષ્ટ આદેશો તેમાં આપવામાં આવ્યા છે.
    હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વને વ્યકત કરે છે. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું,
    પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે..
    કુરાને શરીફનો આરંભ બિસ્મિલ્લાહ હિરરહેમા નિરરહિયમમથી થાય છે. જેનો અર્થ થાય છે, શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે.કુરાને શરીફમાં પ્રેમ, કરુણા, અહિંસાને લગતી આયાતો ઠેર ઠેર જૉવા મળે છે. જેમ કે, ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે.
    એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય, તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને જાણે છે.
    અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો.
    ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે.
    જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જૉઈ રહ્યો છે.
    તારો રબ(ખુદા) એવો નથી કે તે વિનાકારણ વસ્તીઓને નષ્ટ કરે..
    અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે? જૉ તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો.
    અને જૉ તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે..
    તેઓ જે સદ્કાર્યો કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે.
    જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે..શેતાન માત્ર એટલું જ ઇરછે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વરચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો?
    આવી પ્રેમ, શ્રધ્ધા, કરુણા અને અહિંસાની શીખ આપતી આયાતોથી ભરપૂર કુરાને શરીફ અંગે ગાંધીજીએ કહ્યું છે, મહંમદ(સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું? કારણ એ જ કે તેણે સત્ય જૉયું અને સત્ય પ્રગટ કર્યું.
    (‘દિવ્યભાસ્કર’4એપ્રીલ 2008ના સૌજન્યથી)

     
  • At 5:08 PM, Blogger Unknown said…

    Hi sir,
    Your Blog on this topic is good. This teach a great lesson to whom who blame Madarsa and Islam.

     
  • At 8:02 PM, Blogger Sharad Shah said…

    પ્રિય મિત્રો;
    પ્રેમ;
    આપણે કહીએ છીએ કે,
    “કુરાન જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે. પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અને કથાઓ આ ગ્રંથમાં છે.”

    શું આમાંનુ કાંઈ પણ આપણે શિખ્યા છીએ?

    આપણે કહીએ છીએ કે,

    “હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વને વ્યકત કરે છે. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી.”

    શું આપણે અહિંસાનો એક પણ પાઠ શિખ્યા છીએઃ?

    આપણે કહીએ છીએ કે,

    “નિરરહિયમમથી થાય છે. જેનો અર્થ થાય છે, શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે.કુરાને શરીફમાં પ્રેમ, કરુણા, અહિંસાને લગતી આયાતો ઠેર ઠેર જૉવા મળે છે.જેમ કે, ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે.”

    શું આપણે ક્ષમાશીલ અને પ્રેમાળ છીએ?

    આપણે કહીએ છીએ કે,

    “ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો.”

    આપણે સિધા માર્ગે છીએ કે આડામાર્ગે છીએ તેવું વિચારીએ છીએ?
    આપણે કહીએ છીએ કે,

    “ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે.”

    શું આપણે જાત જાતના વાડા ઉભા કરી રોજબરોજ જાત જાતના ફસાદ ઉભા નથી કરતાં?
    આપણે કહીએ છીએ કે,

    “જૉ તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે..”

    શું આપણે બદલો લેવાનુ ક્યારે ચૂકીએ છીએ?

    કુરાન અને ઈસ્લામની ડાહી ડાહી વાતો કરનાર આપણે મુસલમાન કહેવડાવા લાયક છીએ?

    પ્રમાણિકતાપૂર્વક વિચારી મનોમંથન કરી જોશો તો જણાશે કે આપણે પોતે જ મહંમદ સાહેબના એકપણ વક્તવ્યને સમજ્યા જ નથી. આપણે પોપટની માફક આયાતો દોહરાવી શકીએ છીએ, પાંચ નમાજ કરી મુસલમાન હોવાનો ડોળતો કરી શકીએ છીએ પણ આપણા જીવનમા સહેજપણ રુપાંતર આવતું નથી. આ સુન્નીને હું શીયા, આ મેમણ ને હું ખોજા, આ શેખ અને હું અહમદી, આ બિહારીમુસલમાન અને હું ગુજરાતી મુસલમાન. આ અને આવા અનેક ભેદ પાડી આપણે ફસાદો ઉભા કરી છીએ અને આપણને શરમ પણ નથી.

    શું આપણે ખરેખર મુસલમાન છીએ?

    જો જવાબ હા હોય તો મુસલમાનના જીવનની ખુશ્બુ જ અનેક લોકોને પ્રભાવિત કરશે, પ્રેમ અને શિતળતા આપશે. આપણે કોઈને ઈસ્લામની મહત્તા સમજાવવી નહી પડે.

    શેષ શુભ.
    ખુદા આશિષ;
    શરદ

     
  • At 4:23 PM, Blogger Prof. Mehboob Desai said…

    સલીમભાઈ,

    અચાનક તમારા બ્લોગ પર આવી ચડ્યો છું. સરસ બલોગ છે. ચર્ચાઓ પણ સુંદર થાય છે.
    અભિનંદન.

    મહેબૂબ દેસાઈ

     

Post a Comment

<< Home